July 29, 2026

અમદાવાદમાં  ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’ ભજવાયું

અમદાવાદમાં  ઠાકોરભાઈ દેસાઈ હોલ ખાતે ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’ની પ્રસ્તુતિ થઈ. સમન્વય થિયેટર પ્રસ્તુત ગુજરાતી નાટક ‘બાપુજીની છેલ્લી ઇચ્છા’ આપણા મલકની માટીની સુગંધ રેલાવતું અને હસતું હસાવતું અસ્સલ ગુજરાતી નાટક છે.

મરણ પથારીએ પડેલા વૃદ્ધ પિતાની છેલ્લી ઇચ્છા પૂરી કરવા માટે પરિવારના તમામ સભ્યો – તેની પત્ની, ત્રણ પુત્રો અને બે પુત્રવધુ, પોતા-પોતીઓ, બહેન-બનેવી, પંડિત મિત્ર બધા જ ઉપસ્થિત રહે છે, બાપુજીની એક પછી એક અંતિમ ઇચ્છાની રજૂઆત થાય છે, અને તે પૂરી થતી જ નથી એ બાબત નાટકને હાસ્યથી ભરી દે છે.

જ્યારે પરિવારને ખ્યાલ આવે છે કે બાપુજીના નામે 99 લાખનો ઇન્સ્યોરન્સ છે ત્યારે તેઓ તેની વિશેષ સેવા કરે છે, પણ બાપુજી એ જાણે મૃત્યુ સાથે સંતાકૂકડીની રમત માંડી. તે ખાટલામાં પડ્યા પડ્યા બસ પોતાની છેલ્લી ઇચ્છાઓ જ વ્યક્ત કરતા રહે છે.

એકવાર પરિવાર સાથે અવશ્યથી માણવા જેવું નાટક સટાયર અને હાસ્યથી ભરપૂર છે. નાટકનું લેખન-દિગ્દર્શન રવિ ઉઘરેજીયાએ કર્યુ છે. સહલેખન – પૃથ્વી પાટીલ, સહ દિગ્દર્શન – જસદિપસિંહ રાણા અને યશ જોષી, નિર્માણ સહાય – વિશાલ પ્રજાપતિ. નાટકના પાત્રોમાં પાર્થ જાનિ, નિમેશ કુંતર, દેવલ વ્યાસ, ધ્રુમિત ચૌહાણ, રિધમ શાહ, પૃથ્વી પાટીલ, દેવાંગ નાયક, અક્ષય બારોટ, મનિષસિંહ રાઠોડ તથા પુનમ મેવાડા જોવા મળે છે.

ફરી ફરી જોવાની ઇચ્છા થાય એવું સંગીતમય, કોમેડી અને ભરપૂર વ્યંગ સાથેનું નાટક એટલે ‘બાપુજીની છેલ્લી ઇચ્છા.”

You may have missed