February 16, 2026

અમદાવાદમાં JTC-63નું ઈનોગ્રેશન: આર્થિક અને સામાજિક પ્રભાવ માટે ‘રિસર્ચ ટ્રાન્સલેશન’ ચાવીરૂપ

અમદાવાદ, 16  ફેબ્રુઆરી 2026 : ભારત સરકારના ટેક્સટાઈલ મંત્રાલયના સહયોગથી ATIRA, BTRA, SITRA અને NITRA દ્વારા સંયુક્ત રીતે આયોજિત 63મી જોઈન્ટ ટેકનિકલ કોન્ફરન્સ (JTC) નું આજે અમદાવાદમાં ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. આ કોન્ફરન્સનું યજમાન પદ અમદાવાદ ટેક્સટાઈલ ઈન્ડસ્ટ્રીઝ રિસર્ચ એસોસિએશન (ATIRA) સંભાળી રહ્યું છે.

અરવિંદ લિમિટેડના વાઈસ ચેરમેન અને અટીરા (ATIRA)ની ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય શ્રી પુનિત લાલભાઈએ જણાવ્યું હતું કે, ટેકનિકલ ટેક્સટાઈલ ક્ષેત્ર વૈશ્વિક સ્તરે અંદાજે 300 બિલિયન ડોલરની તકો ધરાવે છે. તેમણે કાચા માલ (મટીરિયલ)ની ઉપલબ્ધતામાં સ્ટ્રેટેજિક ઓટોનોમીના મહત્વ પર ભાર મૂક્યો હતો અને આ ક્ષેત્રના વિકાસ માટે અનુકૂળ ઈકોસિસ્ટમ તૈયાર કરવા બદલ ભારત સરકારની પ્રશંસા કરી હતી.

અમદાવાદ યુનિવર્સિટીના ચાન્સેલર પ્રોફેસર પંકજ ચંદ્રએ એકેડેમિયા અને ઉદ્યોગો વચ્ચે વધુ ઊંડાણપૂર્વક જોડાણ કરવા હાકલ કરી હતી. તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ માત્ર પ્રકાશનો અને પેટન્ટ પૂરતું મર્યાદિત ન રહેવું જોઈએ, પરંતુ તે વ્યાપારી રીતે વ્યવહારુ અને સફળ ઇનોવેશન તરફ આગળ વધવું જોઈએ. આ માટે તેમણે સહયોગ અને સકારાત્મક પ્રભાવ પાડવા માટેના વ્યવહારુ માર્ગોની રૂપરેખા પણ રજૂ કરી હતી.

હની બી નેટવર્કના સ્થાપક પદ્મશ્રી પ્રોફેસર અનિલ કુમાર ગુપ્તાએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, ઇનોવેશન આર્થિક મૂલ્ય અને સામાજિક લાભ – એમ બંનેનું સર્જન કરનારું હોવું જોઈએ. પાયાના સ્તરે થયેલા કરકસરયુક્ત અને પ્રેરણાદાયી સંશોધનોના ઉદાહરણો શેર કરતા તેમણે સંશોધકોને અપીલ કરી હતી કે, તેઓ એવા સર્વસમાવેશક વિકાસ પર ધ્યાન આપે જે વંચિત અને જરૂરિયાતમંદ લોકો સુધી પહોંચી શકે.

દેશભરના વૈજ્ઞાનિકો, ઉદ્યોગ જગતના અગ્રણીઓ અને શિક્ષણવિદો આ બે દિવસીય કોન્ફરન્સમાં ભાગ લઈ રહ્યા છે. તેઓ ટ્રેડિશનલ ટેક્સટાઇલ્સ અને ટેકનિકલ ટેક્સટાઈલ્સમાં થયેલા સંશોધનો રજૂ કરી રહ્યા છે, જેમાં આર્થિક અને સામાજિક પ્રભાવ ઊભો કરવા માટે સંશોધનોના રિસર્ચ ટ્રાન્સલેશનને વેગ આપવા પર વિશેષ ભાર મૂકવામાં આવ્યો છે.

મહેમાનોનું સ્વાગત કરતા અટીરા (ATIRA) ના ડાયરેક્ટર શ્રી પ્રજ્ઞેશ શાહે જણાવ્યું હતું કે, ભારતની વિકાસયાત્રામાં ટેક્સટાઈલ એક વ્યૂહાત્મક ક્ષેત્ર છે. તેમણે ઉમેર્યું હતું કે, આ ક્ષેત્રની સતત સ્પર્ધાત્મકતા મજબૂત સંશોધન ક્ષમતા અને ઇનોવેશનના ઉદ્યોગલક્ષી પરિણામોમાં રિસર્ચ ટ્રાન્સલેશન પર નિર્ભર રહેશે.

કાર્યક્રમના અંતે SITRA ના ડાયરેક્ટર ડૉ. પ્રકાશ વાસુદેવે આભારવિધિ કરી હતી.