પાટણના ઠાકોર સમાજના 2000થી વધુ લોકોએ સાથે મળીને સામાજિક એકતાનું ઉદાહરણ પૂરું પાડ્યું
• શિક્ષણ માટે કરોડોનું દાન આપનાર પૂર્વ કોર્પોરેટર બાબાભાઈ ભરવાડ માટે ‘સામૂહિક મામેરું’ ભરી અનોખી પહેલ કરાઈ
અમદાવાદ: ગુજરાતની ધરતી પર આજે સામાજિક સમરસતાનો એક નવો ઇતિહાસ રચાયો છે. અમદાવાદના લપકામણ ખાતે આયોજિત એક ભવ્ય પ્રસંગમાં પાટણ જિલ્લાના 45થી વધુ ગામોના ક્ષત્રિય ઠાકોર સમાજના ભાઈ-બહેનોએ એકઠા થઈને જાણીતા દાનવીર શ્રી બાબાભાઈ કાનજીભાઈ ભરવાડની દીકરીના લગ્ન પ્રસંગે પરંપરાગત ‘મામેરું’ ભરીને જ્ઞાતિ-જાતિના ભેદભાવ ભૂલી એકતાના દર્શન કરાવ્યા છે. ઉલ્લેખનીય છે કે ઉત્તર ગુજરાતમાં ઠાકોર સમાજના જ 42 સમાજ અને જાગીરદાર દરબાર સમાજના લોકોએ સાથે મળીને કોઈ સામાજિક પ્રસંગ કર્યો હોય તેવો આ પ્રથમ પ્રસંગ છે અને આ રાજકીય અને સામાજિક રીતે ઘણી મોટી ઘટના કહી શકાય.
મામેરામાં ભારત સરકારના પૂર્વ મંત્રી સમાજના આગેવાન માધવસિંહ સોલંકીના સુપુત્ર ભરતસિંહ સોલંકી રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ઠાકોર વિકાસ નિગમના પૂર્વ ચેરમેન નંદાજી ઠાકોર ધારાસભ્ય શ્રી અમરતજી ઠાકોર પૂર્વ ધારાભ્ય શ્રી બળદેવજી ઠાકોર પાટણ જીલ્લા ભાજપ પ્રમુખ ભરતભાઈ આર્ય પૂર્વ ધારાસભ્ય શ્રી લાખાભાઈ ભરવાડ સદારામ સમિતિ ના નવઘણજી ઠાકોર વિનયસિંહ ઝાલા, મંગાજી ઠાકોર, ડૉ.મનોજ ઠાકોર મોઘજી ઠાકોર, વસનજી વકીલ તથા સામાજિક અને રાજકીય અગ્રણી પ્રસંગમાં ઉપસ્થિત રહ્યા હતા અને સામાજિક બંધારણ મુજબ મામેરું ભર્યું હતું.
ઘાટલોડિયાના પૂર્વ કોર્પોરેટર શ્રી બાબાભાઈ ભરવાડ તેમની સખાવતો માટે જાણીતા છે. તેમણે ખાસ કરીને પાટણ પંથકમાં ક્ષત્રિય ઠાકોર સમાજ અને અન્ય આર્થિક રીતે પછાત વર્ગની દીકરીઓના શિક્ષણ માટે પોતાના અંગત ભંડોળમાંથી કરોડો રૂપિયાનું દાન આપ્યું છે, જેમાં ટેબ્લેટ અને સાઈકલ વિતરણ જેવા મહત્વના કાર્યો સામેલ છે. બાબાભાઈએ જે નિઃસ્વાર્થ ભાવે ઠાકોર સમાજના બાળકોના ભવિષ્ય માટે કામ કર્યું હતું, તેના પ્રત્યુત્તર રૂપે ઠાકોર સમાજે આજે તેમના પરિવારના પ્રસંગને પોતાનો ગણીને આ ‘મામેરું’ ભર્યું હતું
આ કાર્યક્રમમાં અંદાજે 2000 જેટલા લોકોએ શિસ્તબદ્ધ રીતે સહભાગી થઈને સાબિત કર્યું કે સામાજિક સમરસતા માત્ર શબ્દોમાં નહીં પણ વ્યવહારમાં પણ શક્ય છે. ઇતિહાસમાં કદાચ પ્રથમવાર એવું બન્યું છે કે કોઈ એક સમાજે બીજા સમાજના અગ્રણીના ઘરે સામાજિક બંધારણ મુજબ મામેરું ભરીને દીકરીને આશીર્વાદ આપ્યા હોય.
આ પ્રસંગ આજે તા. 20 ફેબ્રુઆરી ૨૦૨૬ના રોજ સાંજે 4-00 થી 6-00 દરમિયાન અમદાવાદના લપકામણ સ્થિત ‘કસુંબલ નેસ’ ખાતે ભવ્ય રીતે ઉજવવામાં આવ્યો હતો. જેમાં બંને સમાજના રાજકીય અને સામાજિક આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ગુજરાતના સામાજિક માળખાને વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી.

More Stories
ગુજરાતભરમાં ઇંધણ સંરક્ષણ માટે ‘સક્ષમ’ અભિયાનનો જોરશોરથી પ્રારંભ
12 દેશના 250 થી વધુ કલાકારોની ઐતિહાસિક ભદ્રકાલી મંદિર ખાતે સાંસ્કૃતિક પ્રસ્તુતિ
ગુજરાતમાં ‘FRSN ITI ઇકોસિસ્ટમ સમિટ 2026’ સંપન્ન: યુનિયન બજેટના સ્કિલ, જોબ અને ઇન્ડસ્ટ્રી- લિડ ટ્રેનિંગના લક્ષ્યોને વેગ મળ્યો