September 15, 2026

અતુલ ઈન્ડિયા મૂવીઝ દ્વારા પ્રથમ ગુજરાતી પાન-ઈન્ડિયા ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’ની ઘોષણા ; 7 ભાષાઓમાં રામ નવમી 2027 પર થશે રિલીઝ

અતુલ ઈન્ડિયા મૂવીઝના બેનર હેઠળ નિર્માતા અતુલ એમ. બોસામિયા દ્વારા ગુજરાતી સિનેમાના ઈતિહાસમાં એક નવું પ્રકરણ આલેખવા જઈ રહ્યું છે. ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીને રાષ્ટ્રીય સ્તરે નવી ઓળખ અપાવવાના ઉદ્દેશ્ય સાથે નિર્માતા અતુલ બોસામિયાએ તેમની મહત્વકાંક્ષી ફિલ્મ ‘શ્રી કેસરી નંદન’નું ફર્સ્ટ લુક પોસ્ટર રિલીઝ કર્યું છે. આ ફિલ્મની સૌથી ખાસ વાત એ છે કે તે ભારતીય સિનેમાના ઈતિહાસની પ્રથમ એવી ગુજરાતી ફિલ્મ બનશે જે ‘પાન-ઈન્ડિયા’ સ્તરે રજૂ થશે. આ ભવ્ય પ્રોજેક્ટને માત્ર ગુજરાતી જ નહીં, પરંતુ હિન્દી, તમિલ, તેલુગુ, મલયાલમ, કન્નડ અને બંગાળી એમ કુલ સાત ભારતીય ભાષાઓમાં થિયેટરોમાં રિલીઝ કરવાની યોજના બનાવવામાં આવી છે.

દક્ષિણ ભારત અને ગુજરાતના સિનેમેટિક કૌશલ્યના એક અનોખા સંગમ સમી આ ફિલ્મનું લેખન અને નિર્દેશન એવોર્ડ વિજેતા તમિલ ફિલ્મમેકર શબરીનાથન મુથુપાંડિયન દ્વારા કરવામાં આવ્યું છે. ફિલ્મમાં જાણીતા કલાકારો અર્પિત રાંકા અને મૌલિક ચૌહાણ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે, જેમની સાથે કલાકારોની એક મજબૂત ફોજ પણ જાડાશે. વિઝ્યુઅલ ગુણવત્તાને આંતરરાષ્ટ્રીય સ્તરની બનાવવા માટે પ્રખ્યાત સિનેમેટોગ્રાફર સુભાષ દંડાપાણીએ કેમેરા સંભાળ્યો છે, જ્યારે કન્નડ ઈન્ડસ્ટ્રીના જાણીતા સંગીતકાર અભિનંદન કશ્યપે તેમાં સંગીત આપ્યું છે. અતુલ એમ. બોસામિયા નિર્મિત આ વિશાળ બજેટ ફિલ્મમાં મહીપાલ સિંહ રાણાવત, રાજેશ ઠાકુર, હિરેન પટેલ અને પરેશ જગડા એસોસિએટ પ્રોડ્યુસર્સ તરીકે જોડાયેલા છે.

શ્રદ્ધા, ભક્તિ, વારસો અને પરિવર્તનના દિવ્ય વિષય વસ્તુ પર આધારિત ‘શ્રી કેસરી નંદન’ એક પરંપરાગત કથાને ભવ્ય સિનેમેટિક સ્કેલ પર રજૂ કરવાનું સ્વપ્ન ધરાવે છે. ગુજરાતી સાંસ્કૃતિક મૂલ્યોને આધુનિક ટેકનોલોજી અને દક્ષિણ ભારતીય શૈલીના ભવ્ય નિર્માણ સાથે જોડીને સમગ્ર દેશના દર્શકો સુધી પહોંચાડવાનો આ એક સીમાચિહ્નરૂપ પ્રયાસ છે. આ મહાકાય ફિલ્મ રામ નવમી ૨૦૨૭ના પવિત્ર અવસરે સિનેમાઘરોમાં વિશ્વભરના દર્શકો માટે પ્રદર્શિત કરવામાં આવશે.