May 6, 2026

વડોદરા ખાતે નિર્મિત રૂ. 150 કરોડના ખર્ચે તૈયાર ‘સરદારધામ-3’નું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે થશે

• ૨૦૦૦ વિદ્યાર્થીઓ માટે આધુનિક સુવિધાઓથી સજ્જ વિશાળ હોસ્ટેલ

• શિક્ષણ, સ્કિલ અને કારકિર્દી વિકાસ માટે બહુવિધ એકેડેમી સાથેનું અદ્યતન સંકુલ

સરદારધામ દ્વારા સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણના સંકલ્પ સાથે યુવાશક્તિના સર્વાંગી વિકાસ માટે મધ્ય ગુજરાત-વડોદરા ખાતે નિર્માણ પામેલ આધુનિક અને સુવિધાસભર “સરદારધામ-3” નું ભવ્ય લોકાર્પણ સમારોહ તા. 11 મે, 2026 સોમવારના રોજ યોજાનાર છે. સરદારધામ સંસ્થા દ્વારા શિક્ષણ અને સમાજ સેવાના ક્ષેત્રમાં વધુ એક સીમાચિહ્ન સ્થાપિત કરવામાં આવ્યું છે. વડોદરા ખાતે અંદાજે રૂ. 150 કરોડના ખર્ચે 2000 વિદ્યાર્થીઓની ક્ષમતા ધરાવતી અત્યાધુનિક ‘સરદારધામ-3’ હોસ્ટેલ તૈયાર કરવામાં આવી છે. આ ભવ્ય સંકુલનું લોકાર્પણ દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના હસ્તે કરવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તથા ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી વિશેષ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારશે. આ અંગેની સત્તાવાર માહિતી આપવા માટે પ્રમુખ સેવક ગગજીભાઈ સુતરિયા, મધ્ય ગુજરાત ઝોન પ્રમુખ દુષ્યંતભાઈ પટેલ, કાર્યક્રમના ઈનચાર્જ ગોરધનભાઈ ઝડફિયા તથા ઉપપ્રમુખ નટુભાઈ પટેલ ઉપસ્થિત રહ્યાં હતા.

વડોદરામાં તૈયાર થયેલું ‘સરદારધામ-3’ માત્ર હોસ્ટેલ નથી, પરંતુ એક સર્વાંગી વિકાસ કેન્દ્ર છે. આ સંકુલમાં નીચે મુજબની આધુનિક સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી છે:

આ પ્રોજેક્ટ એક અત્યાધુનિક અને સર્વગ્રાહી કેન્દ્ર તરીકે ઊભરી રહ્યો છે, જેમાં સરદાર સાહેબની વિશાળ પ્રતિમા અને સમાજ સેતુ ભવન મુખ્ય આકર્ષણ છે. અહીં ૨૦૦૦ વિદ્યાર્થીઓ માટે અધ્યતન હોસ્ટેલ અને ઇન્સ્ટિટ્યૂટ સાથે ટ્રસ્ટીશ્રી – NRI વિશ્રામગૃહની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે. શૈક્ષણિક અને કારકિર્દીના વિકાસ માટે અહીં GPSC / UPSC (સિવિલ સર્વિસ) કેન્દ્ર, સ્કિલ ડેવલપમેન્ટ સેન્ટર, અને વિવિધ વિષયો માટે વર્કશોપનું આયોજન કરવામાં આવ્યું છે. આ ઉપરાંત, એવિએશન, ડિફેન્સ, જ્યુડિશિયરી અને સ્પોર્ટ્સ એકેડમી જેવી વિશેષ તાલીમ સંસ્થાઓ પણ આ સંકુલનો હિસ્સો છે.

યુવાનોના સર્વાંગી વિકાસ અને રોજગારી માટે અહીં I-Hub અને સ્ટાર્ટઅપ સપોર્ટ, હોટેલ મેનેજમેન્ટ ટ્રેનિંગ, ઓવરસીઝ એજ્યુકેશન સેન્ટર અને પર્સનલિટી ડેવલપમેન્ટ સેન્ટર કાર્યરત છે. વ્યવસાયિક ક્ષેત્રે મદદરૂપ થવા માટે GPBS / GPBO બિઝનેસ સેન્ટર અને હોલની સાથે CED-EDI ઉદ્યોગ તાલીમ કેન્દ્રની વ્યવસ્થા પણ છે. સામાજિક જવાબદારીના ભાગરૂપે, અહીં મહેસૂલ, કાનૂન, સમાજ સુરક્ષા અને મહિલા સુરક્ષા માટે માર્ગદર્શન કેન્દ્ર તેમજ વિવિધ સરકારી સહાય યોજનાઓની માહિતી આપતું કેન્દ્ર પણ તૈયાર કરવામાં આવ્યું છે.

આ હોસ્ટેલમાં વિદ્યાર્થીઓ માટે લાયબ્રેરી, વાચનાલય અને સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે વિશેષ અભ્યાસ કેન્દ્રો ઉપલબ્ધ રહેશે. વડોદરા જેવી શૈક્ષણિક નગરીમાં આ સુવિધા મધ્ય ગુજરાત તેમજ ગ્રામ્ય વિસ્તારોના વિદ્યાર્થીઓ માટે અત્યંત ઉપયોગી સાબિત થશે.

વર્ષ 2021માં શરૂ થયેલ આ પ્રોજેક્ટ આજે લગભગ 4.75 લાખ સ્ક્વેર ફૂટ વિસ્તારમાં પૂર્ણ થયો છે. પાટીદાર સમાજ દ્વારા ગુજરાતમાં કાર્યરત બે સરદારધામ પછી આ ત્રીજું ભવ્ય અને અત્યાધુનિક સંકુલ છે.

આ લોકાર્પણ કાર્યક્રમમાં અંદાજે 45000 થી 50000 લોકો ઉપસ્થિત રહેશે અને તમામ આયોજન વડાપ્રધાનના પ્રોટોકોલ મુજબ કરવામાં આવ્યું છે.

સમારોહમાં સમગ્ર ગુજરાતની વિવિધ પાટીદાર અગ્રણી સંસ્થાઓના પ્રતિનિધિઓ તથા સમાજના આગેવાનો ઉપસ્થિત રહી સમસ્ત પાટીદાર સમાજ વતી વડાપ્રધાનશ્રીનું અભિવાદન કરશે.

આ કાર્યક્રમ યુવાઓને શિક્ષણ, સંસ્કાર, સંગઠન અને સ્વાવલંબન દ્વારા સશક્ત બનાવવાના રાષ્ટ્રનિર્માણના સંકલ્પનું પ્રતિક છે.

આ ભવ્ય કાર્યક્રમનું આયોજન ૧૧ મે ૨૦૨૬, સોમવારના રોજ કરવામાં આવ્યું છે. આ પ્રસંગ વડોદરા ખાતે નેશનલ હાઇવે-૪૮ પર, વાઘોડિયા ક્રોસિંગ પાસે અને L&T નોલેજ સિટીની નજીક આવેલા સરદારધામ-મધ્ય ગુજરાતના પ્રાંગણમાં યોજાશે. કાર્યક્રમની શરૂઆત સાંજે ૪:૩૦ કલાકે થશે.