May 23, 2025

પદ્મશ્રી ડો.જગદિશ ત્રિવેદીના જીવન ચરિત્ર પર આધારિત અંગ્રેજી પુસ્તક “એક્સ્ટ્રા ઓર્ડિનરી સ્ટોરી ઓફ એન ઓર્ડિનરી મેન” નું ભવ્ય વિમોચન યોજાશે

અમદાવાદ : ગુજરાતના ગૌરવ સમાન હાસ્યકલાકાર , લેખક, ચિંતક અને ઉમદા સમાજસેવક પદ્મશ્રી ડો. જગદિશ ત્રિવેદીના જીવન પર આધારિત અંગ્રેજી જીવનચરિત્ર “એક્સ્ટ્રાઓર્ડિનરી સ્ટોરી ઓફ એન ઓર્ડિનરી મેન”નું વિમોચન આગામી શનિવાર, તારીખ 10 મે, 2025ના રોજ સવારે 9:30 કલાકેથી  12-30 કલાક  સુધી અમદાવાદના પાલડી સ્થિત ટાગોર હોલ ખાતે ભવ્ય રીતે યોજાશે. આ પુસ્તકના લેખક પ્રસિદ્ધ પત્રકાર અને લેખક નિશ્ચલ સંઘવી છે. પુસ્તકમાં ડો. ત્રિવેદીની જીવનયાત્રા – જન્મથી લઇ પદ્મશ્રી સુધીના ૫૮ વર્ષના સંઘર્ષોને ખરા ખરા શબ્દોમાં રજૂ કરવામાં આવી છે.

પુસ્તકમાં જીવનના અનેક પ્રેરણાદાયક પ્રસંગોનો સમાવેશ છે – એક સમયનો ‘જગો ઝેરોક્સવાળો’ કે જે એક રૂપિયામાં ત્રણ નકલો કરતો, આજે ૧૩.૫ કરોડથી વધુ રકમનું દાન કરી ચૂક્યો છે; શાળા સમયમાં અગિયારમું અને બારમું ધોરણમાં નિષ્ફળ ગયેલો વિદ્યાર્થી આજે ત્રણ પીએચ.ડી. ધરાવે છે;  ⁠એક જમાનામાં છાશવારે છાંટોપાણી કરનાર માણસ આજે હજારો લોકોને કેવી રીતે વ્યસનમુક્તિ કરાવે છે; લીંબડીની બ્રાહ્મણ બોર્ડીંગમાંથી બરતરફ કરાયેલ તોફાની વિદ્યાર્થી આજે લાખો લોકોના દિલમાં વસે છે. આવી અનેક વાસ્તવિક, ખાટીમીઠી ઘટનાઓ પુસ્તકમાં સચોટ રીતે રજૂ કરવામાં આવી છે, જે અનેક લોકોને માર્ગદર્શક અને પ્રેરણારૂપ બની શકે છે.

ડૉ. ત્રિવેદીએ પચાસ વર્ષના થયા ત્યારે જીવનમાં એક પ્રતિજ્ઞા લીધી કે હવે તેમના દેશ-વિદેશના તમામ કાર્યક્રમોની આવકનું તેઓ દાન કરશે – એમાં  વહીવટખર્ચ પણ લેશે નહીં . એમની આવી નિઃસ્વાર્થ ભાવના અને સમર્પિત જીવનશૈલીને દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ “મન કી બાત” કાર્યક્રમમાં લગભગ ચાર મિનિટ સુધી વિષેશ રૂપે રજૂ કરી હતી, જે તેમના જીવનમૂલ્યોની માન્યતા આપી જાય છે.

આ પુસ્તકના લોકાર્પણ પ્રસંગે ગુજરાતના ગૌરવસમાન વક્તાઓ સર્વશ્રી શાહબુદ્દીન રાઠોડ, ડો. કુમારપાળ દેસાઈ, રતિલાલ બોરીસાગર, જોરાવરસિંહ જાદવ અને તુષાર શુક્લ વગેરે હાજર રહેશે.

આ અનોખા વિમોચન પ્રસંગે સૌસામાન્ય જનતાને હાજર રહી એક પ્રેરણાદાયક જીવનયાત્રાના સાક્ષી બનવા માટે હાર્દિક આમંત્રણ આપવામાં આવે છે.